પશુ ઘાસચારા માટે બુલેટ ગ્રાસ(ઘાસ)નો સફળ પ્રયોગ કરતા ૨૫૬૫ ખેડૂતો, બુલેટ ઘાસથી પશુઓના દૂધ ઉત્પાદનમાં વધારો

પશુઓ માટે લીલો ઘાસચારો મળી રહે તે માટે બુલેટ ગ્રાસ(ઘાસ)નું વાવેતર કરવામાં આવે છે. આ ગુણવતાયુકત ઘાસથી પશુના દુધ ઉત્પાદનમાં વધારો થાય છે અને ફેટ પણ સારા એવા આવે છે. આ ઘાસના વાવેતર માટે સરકાર દ્વારા સહાય પણ આપવામાં આવે છે. જેમાં મનરેગા યોજના હેઠળ જૂનાગઢ જિલ્લાના ૧૪૧૦ ખેડૂતોને બુલેટ ગ્રાસ(ઘાસ)ના વાવેતર માટેની સહાય મંજુર કરી રૂા.૪૭.૯૩ લાખની સહાય ચૂકવવામાં આવી છે.

આ યોજનાનો લાભ લેનાર જૂનાગઢ તાલુકાના પ્રભાતપુરના ખેડૂત જયસુખભાઇ ડોબરિયાએ જણાવ્યું હતું કે, મારે ૪ ગાયો છે. પણ તેના લીલા ઘાસચારા માટે જમીન ઓછી થતી હતી. આથી અમારા ગામના સરપંચે સરકાર દ્વારા બુલેટ ગ્રાસમાં સહાય આપવામાં આવે છે તેની માહિતી હતી. તેમણે મને બુલેટ ગ્રાસ(ઘાસ)ના વાવેતર કરવાની સલાહ આપી હોવાથી મેં એક વિઘામાં બુલેટ ગ્રાસ(ઘાસ)નું વાવેતર કર્યું છે. છેલ્લા ૩ વર્ષથી હું આ ઘાસનું વાવેતર કરૂ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ઘાસ સામાન્ય રીતે ઝડપથી ઉગે છે તથા તેને કાપીને ઉપયોગમાં લીધા બાદ તે જગ્યાએથી ફરી વાર ઉગે છે.

વાવેતરના ૨ મહિના બાદ તેને ઉપયોગમાં લઇ શકાય છે. તેમજ તે અંદાજે ૧૦ થી ૨૦ ફુટ જેટલું ઉંચુ થાય છે. આ ઉપરાંત પશુઓને આ ઘાસ અનુકુળ આવે છે અને ખાસ કરીને દુધાળા પશુઓ વધુ દુધ આપે છે અને આ ઘાસ થકી ફેટ પણ સારા આવે છે.

સરકારની આ બુલેટ ગ્રાસ(ઘાસ)યોજના હેઠળ એક ખેડૂતને પોણા વિઘામાં ૩ વર્ષ માટે રૂા.૫૯ હજારની રકમ ચૂકવવામાં આવે છે. ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગા યોજના અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં ૨૫૬૫ કામોની મંજુરી આપવામાં આવી છે. તે પૈકી ૧૪૧૦ કામો હાલમાં પૂર્ણ થઇ ગયા છે તેમજ અન્ય કામો હાલ પ્રગતિમાં છે. ૧૪૧૦ ખેડૂતોને પોતાના જ ખેતરમાં રોજગારી આપવા માટે બુલેટ ગ્રાસ(ઘાસ) સહાય હેઠળ રૂા.૪૭.૯૩ લાખની રકમ ચૂકવવામાં આવી છે.

પશુઓને લીલો ઘાસચારો મળી રહે તે માટે આ ચારો બીજેથી ખરીદીને લાવતા હતા. તે હવે ખેડૂતો પોતાના ખેતરમાં ઉગાડવાથી તે ખર્ચની બચત થાય છે અને સરકારની સહાય પણ મળી રહે છે. જેના લીધે ખેડૂતોની આવક બમણી કરવાનો ઉદ્દેશ સાર્થક થાય છે.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો